મારે ગામડાઓને બચાવવા છે, સુરક્ષિત કરવા છે: CM વિજય રૂપાણી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, CM વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ચેખલા ગામના ચોરેથી કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. કોરોનાને હરાવવા સરકાર કટિબદ્ધ છે જરૂર છે માત્ર લોકોના સક્રિય સહયોગની તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે. આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સક્રિય છે અત્યારે રોજ નોંધાતા કેસોમાં દેખાયેલો ઘટાડો પુરવાર કરે છે કે આ અભિયાન થકી આપણા પ્રયાસો સાચી દિશામાં છે.

આપણે સૌએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાની છે અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે તેના થકી જ આપણે કોરોના સામે લડત આપી શકીશું અને વિજય મેળવી શકીશું, તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતું. કોરોનાથી ગામડાંઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના હેતુથી જ ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાચી દિશા અને સાચી નિયત સાથેનું અભિયાન છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત રાજ્યના 16,000 થી વધુ ગામોમાં ‘ગ્રામ યોધ્ધા કમિટી’ની રચના કરાઇ છે. અંદાજે 50 લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત પાંચ હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રીએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન 1.40 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતિ સુવિધાઓ મળી રહી છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત રોજ 1 હજાર ટનની છે અને સંભવિત મહત્તમ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાત વધશે તો તેને પહોંચી વળવા પણ પૂરતી તૈયારી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ પૂરતી મદદ કરી રહી છે.

મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ ખાતે અલાયદા વોર્ડની રચના કરવામાં આવી હોવાનું જણાવી તેની સારવાર માટે જરૂરી તમામ ઇન્જેકશન અને દવાઓના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

રાજ્યભરના 50 લાખથી વધુ ઘરોમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી ગામમાં જ કોરોનાને સંપૂર્ણપણે પરાસ્ત કરવાનો સંકલ્પ હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. સાથે- સાથે સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ જણાઇ આવતાં દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવતા દર્દીઓને આઇસોલેશન કરીને સત્વરે સારવાર મળી રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈને ઘરે પરત થયા છે આજે દાખલ થનાર દર્દીઓના કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જે સૂચવે છે કે કોરોના સામેના નિયંત્રણમાં સરકારના પ્રયાસો સફળ રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાઈ આવતા ટેસ્ટ કરાવવા અને ટેસ્ટમાં આવતા ગામમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં જ પ્રાથમિક સારવાર મેળવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

કોરોના સામેની લડતમાં રસીકરણ અમોધ શસ્ત્ર હોવાનું જણાવી સમગ્ર રાજ્યભરના ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના રસીકરણની કામગીરી ઝડપથી થાય અને ગ્રામજનો કોરોના રસીકરણ કરાવીને કોરોના સામેનું સુરક્ષિત બને તેવી હાર્દભરી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી. રાજ્યના તમામ મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કોરોના સામેની લડતમાં કાર્યરત હોવાનું જણાવી ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનને રાજ્યવ્યાપી બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું.

રાજ્યમાં ઓક્સિજન બેડથી લઇ ઓક્સિજનનો જથ્થો પૂરતો છે અને કોરોના સામેની લડતમાં જરૂરી તમામ સંસાધનો પૂરતા પ્રમાણમાં હોઇ રાજ્યના કોઇપણ નાગરિકે ડરવાની કે ગભરાવાની જરૂર નથી તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

કોરોના સામેની લડતમાં સારવાર અને સુવિધા અંગેની વિગતવાર માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી દરરોજ રાજ્યની હોસ્પિટલોને 1,000 ટનથી વધુ ઓક્સિજનના પ્રવાહનો વપરાશ હોસ્પિટલોમાં થઇ રહ્યો છે જેની પૂરતી વ્યવસ્થા રાજ્ય સરકાર પાસે છે. એક માસમાં સાત લાખ રેમડેસિવીર ઇન્જેકશન પુરા પાડવામાં આવ્યા છે. 15મી માર્ચે રાજ્યભરમાં 45,000 કોરોના બેડ હતા જે આજે એક લાખ સુધી પહોચ્યા છે.

ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, 'મારું ગામ કોરોના મુક્ત ગામ' રાજ્યવ્યાપી અભિયાન કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સૌથી મહત્વનું અભિયાન પુરવાર થશે. દેશ આખામાં ગુજરાતે સર્વપ્રથમ આ અભિયાન હાથ ધર્યું છે એ અર્થમાં ગુજરાતે લીડ લીધી છે તેનું અનુકરણ દેશના અન્ય રાજ્યો પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ગામના દર્દીઓને સ્થાનિક સ્તરે જ ટેસ્ટિંગ, આઇસોલેશન અને સારવાર મળી રહે જેને પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેવો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે એ અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણની ખાળવા માટે થઇ રહેલી કામગીરીથી મુખ્યમંત્રી ને વાકેફ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોદ્ધા સમિતિ કાર્યરત કરાઇ છે. જેના દ્વારા લોકોને લોકોની અવર જવર પર અંકુશની સાથે કોરોના ટેસ્ટિંગ, પ્રાથમિક સારવાર, રસીકરણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં કુલ 466 કોવિડ કેર સેન્ટરમાં 2,924 બેડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં જરૂરી દવાઓ પલ્સ ઓક્સિમીટર મીટર, થર્મલ ગન, સ્કીન વેપરાઇઝર જેવા સાધનો ઉપલબ્ધ કરાયા છે.યોગા અને આયુર્વેદિક દવાઓના ઉપયોગની સમજ પણ આપવામાં આવી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ચાર લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 5,989 વ્યક્તિ કોવિડ પોઝિટિવ જણાયા છે જેમને સધન સારવાર આપવામાં આવી છે.

જુદા-જુદા તાલુકાઓમાં ‘મોબાઈલ લેબોરેટરી વાન’ અને ‘ટેસ્ટિંગ વાન’ પણ કાર્યાન્વિત કરાઈ છે. રસીકરણ એ સામેનું અમોઘ શસ્ત્ર છે ત્યારે અમદાવાદ જિલ્લો રસીકરણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. 9,546 આરોગ્ય કર્મીઓ, 39082 ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઇ છે એ અર્થમાં 99% રસીકરણનો લક્ષ્યાંક આ બંને વર્ગમાં સિદ્ધ કરાયો છે. જ્યારે 45 વર્ષથી ઉપરના 3,14,473 લોકોને રસી આપીને 86 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે.

જિલ્લા કલેક્ટરે અમદાવાદ જિલ્લામાં ઓક્સિજનના પુરવઠાને ઉપલબ્ધ કરાવવા માટે ઓક્સિજન બેંકની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતું. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સેનિટાઇઝેશન કામગીરીને વ્યાપક કામગીરી કરાઈ છે. આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ટીમો દ્વારા અંદાજે 7.50 લાખ ઘરોમાં સેનિટેશન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં તમામ તાલુકામાં ઉકાળાના એક લાખ પેકેટ તથા એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 30 ધન્વંતરી રથ દ્વારા 5,55,667 આયુર્વેદિક ઉકાળા-દવા, 4,84,601 હોમીયોપેથીક દવાનું વિતરણ કરીને 10 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300 થી વધારીને 1,779 કરવામાં આવી છે. જેમા આઇ.સી.યુ. વેન્ટિલેટર ના 76 બેડ, 662 ઓક્સિજન બેડનો પણ સમાવેશ થાય છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં 450 બેડ ઉપરાંત , જિલ્લાની 40 ખાનગી હોસ્પિટલમાં 865 બેડની સાથે તમામ 9 તાલુકામાં કુલ 404 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે. ગઈ કાલ સુધીમાં 11,932 રેમડેસિવીર ઈન્જેકશનની ફાળવણી સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ કરવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ગ્રાન્ટ માંથી જિલ્લાના સાણંદ અને બાવડા વિસ્તાર માં 7 એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ લેબોરટરી વાન, બે ડિજિટલ એકસ-રે મશીન, બે સોનોગ્રાફી કલર મશીન, 12 બાઇનોક્યુલર માઈક્રોસ્કોપ, 6 ઓક્સિજન કન્સનટ્રેટર મશીન સહિત અન્ય સાધનો ફાળવવામાં આવ્યાં છે. આગામી સમયમાં જિલ્લામાં 100 ઓક્સિજન કન્સનટ્રેટર, 54 બાય પેપ મશીન, બિરલા ફાઉન્ડેશનના સહયોગથી બે ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત ટાટા ફાઉન્ડેશન, ઝાયડસ ફાઉન્ડેશન મારુંતિના સહયોગથી 100-100 બેડનું આયોજન અને 30 વેન્ટિલેટરનું પણ આયોજન હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp