મુખ્યમંત્રીએ BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 બસોનું ઇ-લોકાર્પણ કર્યુ

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ST નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 ST બસોના લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, રાજ્ય સરકારે ST નિગમને નફો રળવાના નહીં પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની સ્થિતીએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે પ0 ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં ST બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે.

મુખ્યમંત્રીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર અદ્યતન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1000 બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ST નિગમના સૌ કર્મયોગીઓએ કોરોના સંક્રમણની સ્થિતીમાં પણ અહનિર્શ ફરજરત રહિને આ 1000 બસ પૈકીના પ્રથમ લોટની 101 BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યુ છે.

મુખ્યમંત્રીએ આ 101 બસોને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રસ્થાન સંકેત આપીને રાજ્યના 16 ST ડિવીઝનના વિસ્તારોમાં મુસાફરલક્ષી સેવામાં અર્પણ કરી હતી. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ જામનગરથી તેમજ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી વિડીયોલીંક દ્વારા આ અવસરે જોડાયા હતા.

મુખ્યમંત્રીએ આ બસોના ઇન હાઉસ નિર્માણ માટે કર્મયોગીઓને અભિનંદન આપતાં કહ્યું કે, મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીય પરિવહન સેવાઓ પુરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે.

તેમણે ST નિગમના કર્મયોગીઓને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવાની અપિલ કરતાં એમ પણ કહ્યું કે, વેકસીનેશનથી સ્વયંની સલામતિ, ઘર પરિવારની સલામતિ અને પ્રવાસીઓનું સુરક્ષિત સલામતિ પરિવહનનું દાયિત્વ સૌ અદા કરે. વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસરકારક ટ્રાન્સપોર્ટેશનથી દેશની ગતિશીલતાને આધાર આપવાની જે નેમ રાખી છે તેમાં ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમ વ્યાપક સેવાઓથી પોતાનું યોગદાન આપી રહ્યું છે.

આ કાર્યક્રમમાં વાહનવ્યવહાર અને બંદરોના અધિક મુખ્ય સચિવ કમલ દાયાની, ST નિગમના એમ.ડી. એસ. જે. હૈદર તેમજ નિગમના જનરલ મેનેજર વાળા, સેક્રેટરી નિર્મલ આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp